ગ્રીષ્મા હત્યા કેસ બાદ વડોદરામાં હત્યા: હું સંદીપ સાથે છું ચિંતા ન કરતા છેલ્લા મેસેજ બાદ વડોદરામાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો
વડોદરામાં તૃષા સોલંકીનામની એક યુવતીની ચકચારી હત્યા બાદ હવે વડોદરા શહેરની યુવતી મીરા સોલંકીની તિલકવાડામાં હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ખુબ સનસનાટી મચી ગઇ છે. વડોદરાના માંજલપુર દરબાર ચોકડી પાસે રહેતી એક ૨૦ વર્ષીય યુવતીની નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ સ્ટેશનની હદમાં એક ખેતરમાંથી હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મીરાએ તેની પિતરાઈ બહેનને વોટ્સએપ પર મેસેજ કરીને એવું જણાવ્યું હતું કે હું અત્યારે સંદીપ સાથે છું.
તમે કોઈ ચિંતા કરશો નહીં. હું રવિવારે સાંજ સુધીમાં ઘરે પહોંચી જઇશ. તાજેતરમાં જ ધોરણ ૧૨ની પરીક્ષા આપનાર આ યુવતીની હત્યા કેવી રીતે કરવામાં આવી છે. તે વિશેની માહિતી મેળવવા માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ યુવતીની હત્યા પ્રેમ પ્રકરણના લીધે કરવામાં આવી હોવાનું મનાઇ રહ્યું છે.
દીકરી ગુમ થઈ જતા પિતાએ નોંધાવી ફરિયાદ વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી દરબાર ચોકડી પાસે બળીયાદેવ મંદિર સામે આવેલા ખેતરમાં તેના માતા-પિતા સાથે રહેતી મીરા નિલેશભાઈ સોલંકી બે દિવસ પહેલા જ ઘરેથી નીકળી ગઈ હતી. દરમિયાન મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પિતા નિલેશભાઈ સોલંકીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં મીરા ગુમ થઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ મથકની હદમાં આવેલ એક ખેતરમાંથી મીરાનો મૃતદેહ મળી આવતા તિલકવાડા પોલીસે લાશની ઓળખ કરવા માટે તપાસ શરુ કરી હતી.
તિલકવાડામાં એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો બીજી તરફ સોશિયલ મીડિયા પર ફરતા થયેલા મીરાના મૃતદેહના ફોટા પરિવારજનો અને માંજલપુર વિસ્તારના પૂર્વ કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરીને જોવા મળતા તેઓ તિલકવાડા ખાતે દોડી ગયા હતા અને મૃતદેહની ઓળખ કરી લીધી હતી. લાશની ઓળખ થયા પછી તેના પોસ્ટમોર્ટમ માટે તિલકવાડા પોલીસે કાર્યવાહી શરુ કરવામાં આવી હતી.
જોકે, તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે યોગ્ય સુવિધા ન હોવાના કારણે અને પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવાનું હોવાથી મીરાની લાશ વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. જોકે, તિલકવાડા પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો દાખલ કરી અને તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મીરાની હત્યા ગળું દબાવી તેમજ ડામ આપીને કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મીરાની હત્યા કેવી રીતે કરવામાં આવી છે.
તે ચોક્કસ કારણ બહાર આવી જશે. ખેડૂત દીકરી મીરાની હત્યાના બનાવે માંજલપુર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા એક તરફી પ્રેમમાં પાગલ યુવાને તૃષાની વડોદરા નજીક જ કઋણ હત્યા કરી નાખી હતી. આ બનાવ હજુ લોકોના માનસ ઉપરથી દૂર નથી થયો. ત્યાં વધુ એક યુવતી પ્રેમ પ્રકરણનો ભોગ બની ચુકી છે.
આ બનાવ અંગે માંજલપુર વિસ્તારના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ એવું જણાવ્યું હતું કે, મીરા સોલંકી પરિવારની એકની એક દીકરી જ હતી. તેને તાજેતરમાં જ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧૨ની પરીક્ષા પણ આપી હતી. બે દિવસ પહેલા જ તે ઘરેથી ચાલી ગઈ હતી. જેથી પરિવારજનો દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
બીજી બાજુ મીરાએ તેની પિતરાઈ બેનને વોટ્સએપ પર મેસેજ કરી અને એવું જણાવ્યું હતું કે હું સંદીપ સાથે છું. તમે કોઈ ચિંતા કરશો નહીં. હું રવિવારે સાંજ સુધીમાં ઘરે પહોંચી જઇશ. કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરે એવું જણાવ્યું હતું કે, મીરા સોલંકીની પ્રેમ પ્રકરણના લીધે હત્યા કરવામાં આવી હોવાનું લાગી રહ્યું છે અને જુના પાદરા રોડ ઉપર રહેતા એક યુવક સંદીપ મકવાણા નામના યુવાન સાથે મીરા ગઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવી ગયું છે. મીરાની હત્યા કરનાર આરોપીની પોલીસ દ્વારા વહેલી તકે ધરપકડ કરવામાં આવેને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરેલી છે.
તિલકવાડા પોલીસ દ્વારા વડોદરાની મીરા સોલંકીની હત્યાનો ભેદ ઉકેલવા માટે તપાસ હાથ ધરી લીધી છે. મીરાનો મોબાઇલ ફોન મળ્યો ન હોવાથી પોલીસે ગુમ થયેલા ફોનની પણ તપાસ શરૂ કરી દીધી છે. આ સાથે વડોદરા માજલપુર પોલીસ દ્વારા પણ મીરા સોલંકી હત્યા કેસની તપાસ હાથ ધરવામાં આવી છે. માજલપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલ પણ કોલ્ડરૂમ ઉપર પહોંચી ગયા હતા. ઓલ્ડ પાદરા રોડ પર રહેતા સંદીપ મકવાણા સાથે મીરા સોલંકી તિલકવાડા બાજુ ગઇ હતી. જેથી સંદીપ શંકાના દાયરામાં આવી ગયો છે. તિલકવાડા પોલીસે સંદીપના માતા-પિતા સહિત પરિવારના ૪ સભ્યોની મોડી રાત સુધી પૂછપૂરછ કરી હતી.